ગ્રીન અમરનાથ તરફ મોટું પગલું
શ્રી અમરનાથ યાત્રા માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં પરંતુ હવે પર્યાવરણ સંરક્ષણનું પણ અનોખું ઉદાહરણ બની રહી છે. આ વર્ષે યાત્રામાં પ્રથમ વખત એવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, જેમાં ખચ્ચરના છાણમાંથી બાયોગેસ અને ગ્રીન ફ્યુઅલ તૈયાર કરવામાં આવશે, જ્યારે યાત્રા દરમિયાન નીકળતા મોટા પ્રમાણના કચરાનો પણ વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવશે.
400 ટનથી વધુ કચરાના નિકાલની તૈયારી
આ વર્ષે અમરનાથ યાત્રામાં 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે. અધિકારીઓના અંદાજ મુજબ યાત્રા દરમિયાન લગભગ 400 ટન કચરો એકત્ર થઈ શકે છે અને જો યાત્રાળુઓની સંખ્યા વધશે તો આ આંકડો 700 ટન સુધી પહોંચી શકે છે. સમગ્ર કચરા વ્યવસ્થાપનની જવાબદારી ઇન્દોરની સ્વાહા રિસોર્સ મેનેજમેન્ટ સંસ્થાને સોંપવામાં આવી છે.
ખચ્ચરના છાણમાંથી બનશે ગ્રીન ફ્યુઅલ
યાત્રા માર્ગ પર દરરોજ હજારો ખચ્ચરોનો ઉપયોગ થાય છે. તેમના છાણને ખાસ મશીનો દ્વારા એકત્ર કરીને 5 ક્યુબિક મીટરના બાયોગેસ પ્લાન્ટમાં મિથેન ગેસમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ ગેસનો ઉપયોગ ઊર્જા અને ગ્રીન ફ્યુઅલ તરીકે કરવામાં આવશે. બાળટાલમાં મિથેનથી ચાલતો વિશેષ લેમ્પ પણ મૂકવામાં આવ્યો છે, જેથી લોકો આ અનોખી પહેલને નજીકથી જોઈ શકે.
પ્લાસ્ટિક મુક્ત યાત્રા માટે કડક નિયમો
યાત્રા દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને 1.5 લાખથી વધુ કાપડની થેલીઓ મફતમાં આપવામાં આવી રહી છે. સાથે જ 8 વોટર ATM સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી દરરોજ હજારો પ્લાસ્ટિક બોટલોના ઉપયોગને અટકાવી શકાય. પ્લાસ્ટિકના ગ્લાસ કે થેલીનો ઉપયોગ કરનાર સામે દંડની જોગવાઈ પણ રાખવામાં આવી છે.
દેશ માટે બની શકે ગ્રીન યાત્રાનું મોડલ
યાત્રા માર્ગ પર 4,000 સફાઈ કર્મચારીઓ અને 623 નિષ્ણાતો સતત દેખરેખ રાખી રહ્યા છે. શેરી નાટકો, કઠપૂતળીના શો અને જાગૃતિ અભિયાન દ્વારા યાત્રાળુઓને સ્વચ્છતા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. જો આ 'ઝીરો લેન્ડફિલ યાત્રા' સફળ રહેશે તો તે દેશની અન્ય ધાર્મિક યાત્રાઓ માટે પણ એક પ્રેરણાદાયક મોડલ બની શકે છે.
